પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે આપ્યું રાજીનામુ: ખેલાડી તરીકે ત્રણેય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે
વન-ડે વર્લ્ડકપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર 15 નવેમ્બરને ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે જાહેરાત કરી હતી કે તે ત્રણેય ફોર્મેટમાંથી ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. બાબરે લખ્યું- તે એક ખેલાડી તરીકે ત્રણેય ફોર્મેટમાં ટીમનો ભાગ બનશે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડકપ 2023ની 9માંથી માત્ર 4 મેચ જ જીતી શકી હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં ક્રમે રહીને સેમિ ફાઈનલમાં પણ પહોંચી શકી નહતી. બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામુ આપ્યાં બાદ શાહીનને ટી-20 અને શાન મસૂદને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.
શાહીન આફ્રિદી પાકિસ્તાન ટી-20 ટીમનો અને શાન મસૂદ પાકિસ્તાન ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન. બાબર આઝમની જગ્યાએ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને નવો ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બેટર શાન મસૂદ ટેસ્ટની કેપ્ટન્સી કરશે, જ્યારે વન ડેમાં હજુ નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી.
બાબર આઝમે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં કહ્યું- હું આજે ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ છોડી રહ્યો છું. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે, પરંતુ મને લાગે છે કે આ નિર્ણય માટે આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાન તરફથી રમવાનું જારી રાખીશ. હું નવા કેપ્ટન અને ટીમનું સન્માન કરતો રહીશ. જરુર પડશે તો હું મારો અનુભવ પણ ટીમ સાથે શેર કરીશ. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું કે, તેમણે મને કેપ્ટન બનાવીને મારામાં વિશ્વાસ દર્શાવ્યો.
— Babar Azam (@babarazam258) November 15, 2023
પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડકપની શરૂઆત કરી હતી, પરંતુ ત્રીજી મેચમાં ટીમને કટ્ટર હરીફ ભારતે 7 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચ બાદ ટીમને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાને સતત મેચોમાં પરાજય આપ્યો હતો.
અંતિમ મેચમાં પણ ટીમને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી, પરંતુ ટીમ 4 જીત બાદ 8 પોઇન્ટ સાથે સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકી નહોતી. ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને રહી હતી.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!