ઉમેદવાર નક્કી કરવાની બેઠકમાં શા માટે હાજરી નથી આપી રહ્યા રાહુલ ગાંધી ? શું સંદેશ આપવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારો વહેલી તકે જાહેર કરવા માંગે છે. ચૂંટણી સમિતિની બેઠકો પૂરજોશમાં ચાલી રહી છે. ગઈકાલે સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની વધુ એક બેઠક મળી હતી. પાર્ટીના લોકસભાના ઉમેદવારોની આગામી યાદી આજે આવી શકે છે. આ બેઠકમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે.
-- હજુ સુધી એક પણ CEC મીટિંગમાં હાજરી આપી નથી :- જોકે, રાહુલ ગાંધી આ મહત્વની CEC મીટિંગમાં હાજર રહ્યા ન હતા. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ હજુ સુધી એક પણ CEC મીટિંગમાં હાજરી આપી નથી. આનાથી બે સવાલો ઉભા થાય છે કે, શું તે ઉમેદવારની પસંદગીને મહત્વ નથી આપી રહ્યા કે પછી પરિસ્થિતિને સમજીને તે જાણી જોઈને પોતાને આ પ્રક્રિયાથી દૂર રાખવા માંગે છે?
-- અમેઠીથી રાહુલ લડશે કે નહીં તે અંગે હજુ નિર્ણય નહીં :- ગઈકાલની બેઠકમાં રાહુલની ગેરહાજરીને કારણે, એવું માનવામાં આવે છે કે અમેઠી પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો જ્યારે વાયનાડથી તેમની ઉમેદવારી લાંબા સમય પહેલા જાહેર કરવામાં આવી હતી. યૂપીમાં કૉંગ્રેસના સંકોચાઈ જવા વિશે લોકોમાં રહેલી ધારણાને તોડવા માટે, માત્ર યુપી કૉંગ્રેસ જ નહીં પરંતુ વ્યૂહરચનાકારોનો એક વર્ગ માને છે કે ગાંધી પરિવારે યુપીમાંથી ચૂંટણી લડવી જોઈએ. આનાથી કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે.
-- દિલ્હીમાં હોવા છતા બીજી બેઠકમાં હાજરી ન આપી :- ઉમેદવારો નક્કી કરવા માટે યોજાયેલી બેઠકોમાં રાહુલ ગાંધીની ગેરહાજરી લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય પણ છે. પાર્ટી પ્રમુખથી લઈને કાર્યકર્તાઓ સુધી દરેક તેમને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરે છે. આવી સ્થિતિમાં રાહુલ ઉમેદવાર પસંદગીથી કેમ દૂર છે? તેઓ CECની પ્રથમ બેઠકમાં ભારત જોડો ન્યાય યાત્રામાં હતા. કહેવાય છે કે વાયનાડ સીટ પર નિર્ણય લેવાનો હોવાથી તેઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. દિલ્હીમાં હોવા છતાં તેઓ બીજી બેઠકમાં આવ્યા ન હતા. ગઈકાલની મીટીંગ સાંજે હતી. રાહુલ સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આવ્યા હતા પરંતુ તેઓ સાંજે ઉમેદવારોની પસંદગી માટેની સૌથી મહત્વપૂર્ણ બેઠકથી દૂર રહ્યા હતા.
-- રાહુલ ગેરહાજર રહીને શું સંદેશ આપવા માંગે છે ? :- સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ઈચ્છે છે કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમણે જ નક્કી કરવું જોઈએ કે કોણ ક્યાંથી ચૂંટણી લડશે. આથી રાહુલ ગાંધી અધ્યક્ષ ન હોવા છતાં દખલ કરી રહ્યા છે તેવો સવાલ કોઈ ઉઠાવી શકશે નહી. આ રીતે રાહુલ ગાંધી કદાચ પોતાને નિષ્પક્ષ બતાવવા માંગે છે. બની શકે છે કે આના દ્વારા તેઓ કોંગ્રેસમાં ટિકિટને લઈને ચાલી રહેલી ખેંચતાણથી દૂર રહેવા માંગે છે. સંદેશ એ છે કે પાર્ટી અધ્યક્ષ ખડગે બધું નક્કી કરી રહ્યા છે. જોકે, ભાજપ એવો સવાલ પણ ઉઠાવી શકે છે કે રાહુલ સમજી ગયા છે કે વાતાવરણ કેવું છે અને તેથી તેઓ આ પ્રક્રિયાથી દૂર રહીને પોતાની પ્રતિષ્ઠા બચાવવા માગે છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!