ગાંધી જયંતિ સ્પેશિયલ: મહાત્મા ગાંધીની આ 5 ડાયટ ટિપ્સથી દરેક વ્યક્તિ રહેશે સ્વસ્થ
જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા માટે ગાંધીજીએ પ્રોટીન, ફાઇબર, મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ સંતુલિત આહાર લેવાની, વ્યાયામ કરવાની હિમાયત કરી હતી.
મોહનદાસ કરમચંદ ગાંધી એક હીરો, આંદોલનકારી, આધ્યાત્મિક નેતા અને વિશ્વ શાંતિના હિમાયતી હતા. 1947માં ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા હાંસલ કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. સ્વતંત્રતા ચળવળ દરમિયાન ગાંધીજીએ કુલ 17 વખત ઉપવાસ કર્યા હતા, જેમાં સૌથી લાંબો ઉપવાસ 21 દિવસનો હતો. ગાંધીજી બાળપણથી જ શાકાહારી હતા અને તેઓ સાદગી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ઉત્તમ ઉદાહરણ હતા.
બાપુના હુલામણા નામથી ઓળખાતા ગાંધીજીએ ‘સ્વાસ્થ્યની ચાવી’ પુસ્તક લખ્યું હતું. તેમણે નોંધ્યું કે, “એ સત્ય છે કે માણસ હવા અને પાણી વિના જીવી નથી શકતો, પણ જે વસ્તુ શરીરને પોષણ આપે છે તે ખોરાક છે. તેથી જ એવી કહેવત છે કે ખોરાક એ જીવન છે.” જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા માટે ગાંધીજીએ પ્રોટીન, ફાઇબર અને મહત્વપૂર્ણ વિટામિન્સ, ખનિજોથી સમૃદ્ધ સંતુલિત આહાર લેવાની, વ્યાયામ કરવાની તેમજ મદિરાપાન અને ધૂમ્રપાન જેવી હાનિકારક આદતોથી દૂર રહેવાની હિમાયત કરી હતી.
મહાત્મા ગાંધીનો આહાર કેવો હતો?
મહાત્મા ગાંધીએ તેમના આહાર સાથે પ્રયોગો કર્યા હતા. પોતાના પુસ્તકમાં તેમણે લખ્યું હતું કે, “હું સામાન્ય રીતે 8 તોલા અંકુરિત ઘઉં, 8 તોલા મીઠી બદામની પેસ્ટ, 8 તોલા લીલા પાંદડા, 6 ખાટા લીંબુ અને 2 ઔંસ મધ લઉં છું. આ ખોરાકને બે ભાગમાં વહેંચવામાં આવે છે, પહેલું ભોજન સવારે 11 વાગ્યે અને બીજું સાંજે 6.15 વાગ્યે લઉં છું. અગ્નિ દ્વારા સ્પર્શેલી એકમાત્ર વસ્તુ પાણી છે. હું સવારે અને એક વખત દિવસ દરમિયાન ગરમ પાણી સાથે લીંબુ અને મધ લઉં છું.”
મહાત્મા ગાંધી અનુસાર સ્વસ્થ રહેવાની 5 ટિપ્સ
મોસમી અને કુદરતી ખાદ્યપદાર્થો: ગાંધીજીએ હંમેશાં સ્થાનિક રીતે ઉગાડેલા અને સીઝનલ ખોરાક તેમજ વિવિધ પ્રકારના તાજા અને સૂકા ફળો, શાકભાજી અને વનસ્પતિઓ તેમજ આરોગ્યપ્રદ, સરળ રીતે તૈયાર કરેલી વાનગીઓ પર ભાર મૂક્યો હતો.
મીઠાં વગરનો આહાર: આપણે આજે મીઠાંનો ઉપયોગ ઓછો કરવાની વાતો કરીએ છીએ, પણ મહાત્મા ગાંધીએ વર્ષ 1911માં જ મીઠાં વિનાનો આહાર લેવાની શરૂઆત કરી હતી. તેઓ ભોજનમાં વધારાનું મીઠું ઉમેરવાના કટ્ટર વિરોધી હતા. તેમણે ડોક્ટરની સલાહથી 1920ના દાયકાના અંત સુધીમાં યોગ્ય માત્રામાં મીઠું લેવાની શરૂઆત કરી હતી.
ઉપવાસ: મહાત્મા ગાંધીએ એક સદી પહેલાં શરીરને ડિટોક્સિફાઈ કરવા માટે ઉપવાસનું મૂલ્ય સમજાવી દીધું હતું. તેઓ ઘણી વખત માત્ર ફળો અને પાણી પર રહેતા હતા.
ડેરી પ્રોડક્ટ નહીં: એક શાકાહારી હોવાથી ગાંધીજી દૂધના ઉપયોગને પણ જીવહિંસાથી જોડતા. તેમણે લેક્ટોઝ-મુક્ત પ્રયોગોનો પોતાના પુસ્તકમાં સમાવેશ કર્યો હતો.
ખાંડ-મુક્ત આહાર: આજે રિફાઈન્ડ શુગરને લીધે થતા રોગોથી ચેતવવામાં આવે છે પણ ગાંધીજી તો એ સમયે પણ ખાંડથી દૂર રહ્યા હતા.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!