એકાદશી અને વાક્ બારસના સંયોગથી થયો દિવાળી પર્વનો પ્રારંભ, આજે આ પશુની પૂજા કરવાથી મળશે સંતાન સુખ
આ વખતે રમા એકાદશીએ ઘણાં શુભ યોગ બન્યા છે, જેથી આ તિથિનું મહત્વ ઘણું વધી ગયું છે.
દિવાળીનો તહેવાર એટલે રંગ અને પ્રકાશનો ઉત્સવ. આ ઉત્સવની આપણે સૌ આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ. આજે 9 નવેમ્બરે રમા એકાદશી અને વાક બારસથી આ પર્વની ઉજવણી શરુ થશે. રમા એકાદશીએ વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાય અને તેના વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે. આ વખતે રમા એકાદશીએ ઘણાં શુભ યોગ બન્યા છે, જેથી આ તિથિનું મહત્વ ઘણું વધી ગયું છે. ભગવાન વિષ્ણુની પૂજા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે ગુરુવારે એકાદશી આવે છે ત્યારે તેનું મહત્વ વધી જાય છે.
રમા એકાદશી નામ કેવી રીતે પડ્યું?
મા લક્ષ્મીનું એક નામ રમા પણ છે અને આ એકાદશીમાં શ્રીહરિ સાથે મા લક્ષ્મીની પૂજાની પરંપરા છે. મા લક્ષ્મીનું નામ રમા હોવાને કારણે તેને રમા એકાદશી પણ કહેવામાં આવે છે. રમા એકાદશી 8 નવેમ્બર 2023ના રોજ સવારે 8 વાગ્યેને 23 મિનિટે શરુ થઈ હતી અને આજે સવારે 10 વાગ્યેને 41 મિનિટે સમાપ્ત થઈ છે. રમા એકાદશીના પારણા 10 નવેમ્બર 2023ના રોજ સવારે 06:39 થી 08:50 સુધી કરવા.
વાક બારસ કે વસુ બારસનું મહત્વ
વાક બારસને આપણે વાઘ બારસ, વસુ બારસ અને ગોવત્સ દ્વાદશીના નામે પણ ઓળખીએ છીએ. ઘણાં લોકો એ નથી જાણતા કે વાઘ બારસ વાઘના સંદર્ભે નથી ઉજવાતી. વાઘ શબ્દ સાંભળતા જ ઘણાંને એવું લાગે છે કે પ્રાણી વાઘની વાત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં અહીં વાક્ એટલે વાણીની વાત છે. આ દિવસે વિદ્યા અને વાચાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
ગાયના પૂજનનું મહત્વ
આ ઉપરાંત, અન્ય એક નામ છે વસુ બારસ. વસુ એટલે ગાય. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. આ દિવસે ગાયનું પૂજન કરવાથી આપણને બધા જ દેવતાઓનું પૂજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. બાળકોના લાંબા આયુષ્ય માટે પણ વસુ બારસ રાખવામાં આવે છે. વાઘ બારસ તિથિ 9 નવેમ્બર સવારે 10.41 વાગ્યાથી 10 નવેમ્બરે બપોરે 12.35 વાગ્યા સુધી રહેશે. એવું પણ માનવામાં આવે છે કે નિ:સંતાન દંપતિ આ દિવસે ગાયની પૂજા કરીને વ્રત રાખે તો તેમને જલ્દી સંતાન પ્રાપ્તિ થાય છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!