Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ વર્લ્ડ કપની ટક્કર ક્યાં થશે?

એશિયા કપ 2023: એશિયા કપ 2023 આ વખતે વનડે ફોર્મેટ પર યોજાશે અને આ વર્ષે સપ્ટેમ્બરમાં થઈ શકે છે.
એશિયા કપ 2023: એશિયા કપ 2023ની તૈયારીઓ હવે આગળ વધી રહી છે. ચાલુ વર્ષે યોજાનારા એશિયા કપની યજમાની પાકિસ્તાનની જ થઈ ચૂકી છે, પણ આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થશે કે અન્ય કોઈ જગ્યાએ તે હજુ નક્કી થઈ શક્યું નથી.
બીસીસીઆઈએ એમ કહીને પાકિસ્તાન અને પીસીબીની મુશ્કેલીઓ વધારી દીધી હતી કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાકિસ્તાન જઈ શકે તેમ નથી. આ પછી પીસીબી ખૂબ જ નારાજ છે. જોકે એશિયન ક્રિકેટ કાઉન્સીલે એશિયા કપને લઈને હજુ સુધી કોઈ આખરી નિર્ણય લીધો નથી, પણ પાકિસ્તાન માની રહ્યું છે કે, એશિયા કપનું આયોજન હાઈબ્રિડ મોડલ પર જ થશે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ક્યાં રમાશે અને કઈ ટીમો કયા ગ્રુપમાં હશે.
પાકિસ્તાને એશિયા કપ 2023 માટે હાઇબ્રિડ મોડેલ વિકસાવ્યું
ચાલુ વર્ષે વન ડેના ફોર્મેટ પર યોજાનારા એશિયા કપ અંગે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી, પણ આ વર્ષની ઈવેન્ટ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી યોજાશે તેમ મનાય છે. દરમિયાનમાં જિયો ન્યુઝમાં ખુલાસો થયો છે કે, પીસીબીનું માનવું છે કે, એશિયા કપ બે તબક્કામાં રમાશે, તેમજ બે સ્થળોને આખરી ઓપ આપવાની પ્રક્રિયા લગભગ પુરી થઈ ચૂકી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં પહેલા તબક્કામાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં મેચ રમાશે, ત્યારબાદ બીજા તબક્કાની મેચોને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પીસીબીને લાગે છે કે શારજાહ અને અબુધાબી કરતા દુબઈમાં મેચ યોજવાનું વધુ નફાકારક સોદો હશે. બીસીસીઆઈએ જ્યારથી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કર્યો છે ત્યારથી પીસીબી હાઈબ્રિડ મોડલની તૈયારી કરી રહ્યું છે, પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી ન તો કોઈ રસ દાખવ્યો છે કે ન તો તેના વિશે કોઈ નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ઈચ્છે છે કે, પહેલા તબક્કામાં પાકિસ્તાનમાં મેચો રમાય અને તે પછી ટીમ ઈન્ડિયા અને પછીની મેચો એવા સ્થાન પર યોજવી જોઈએ જે તટસ્થ સ્થળ હોય અને ટીમ ઈન્ડિયા રમવા માટે તૈયાર છે.
એશિયા કપ 2023ને લઈને અંતિમ નિર્ણય એસીસીની બેઠકમાં લેવામાં આવશે.
આ દરમિયાન ટીમ ઈન્ડિયાની એશિયા કપની મેચો શ્રીલંકામાં યોજાવાની ચર્ચા હતી, પરંતુ હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો પાકિસ્તાનની વાત સ્વીકારી લેવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં હાઈવોલ્ટેજ મુકાબલો થઈ શકે છે. બીજી તરફ જો ગ્રુપની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાની સંભાવના છે અને આ ગ્રુપમાં ત્રીજી ટીમ નેપાળ હોઈ શકે છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ હોઈ શકે છે.
ગ્રૂપની તમામ ટીમો વચ્ચે એક મેચ રમશે અને આ પછી બંને ગૂ્રપની બે ટીમો એટલે કે કુલ ચાર ટીમો વચ્ચે સુપર-4 મુકાબલા ખેલાશે. એટલે કે ભારત અને પાકિસ્તાનની ટીમો એક નહીં પરંતુ બે વાર આમને સામને જોવા મળી શકે છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં જ એસીસીની મિટિંગ યોજાશે, જેમાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને પીસીબી ચીફ નજમ સેઠી પણ હાજર રહે તેવી શક્યતા છે, આ મિટિંગ બાદ જ એશિયા કપના આયોજનની આખરી મંજૂરી જોવા મળશે.